Friday 15 June 2012

શિમલાની આસપાસ – હેતલ દવે

કસૌલી :
kasauli તમે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા…’ ગીતવાળું ચલચિત્ર ‘1942 ધ લવ સ્ટોરી’ જોયું છે ? તેમાં દર્શાવેલ અત્યંત સુંદર કુદરતી દશ્યોને થિયેટરના પડદા પર જોવાને બદલે નરી આંખે, નજર કે સામને જોવાં હોય તો કસૌલી ચલો. શિમલાથી કલકા જતા રસ્તામાં 73 કિ.મી. દૂર આવેલ કસૌલી દરેક રીતે શિમલાથી ચઢિયાતું છે. ઓગણીસમી સદીની શાંતિમાં આળોટતું 1951 મીટરની ઊંચાઈએ આવેલ આ નાનકડું હિલ સ્ટેશન બ્રિટિશરોના કોલોનીયન રાજની યાદ તાજી કરાવે છે. જૂની ઢબના રસ્તાઓ, દુકાનો, મકાનો, સુંદર નાનકડા બગીચા અને ઉદ્યાનોની ભરેલા કસૌલીની ચોતરફ ‘પાઈન’, ‘ઓક’, અને ‘ચેસ્ટનટ’નાં વૃક્ષોનું જંગલ આવેલું છે. નજીકમાં આવેલ ચુડ ચાંદનીનું શિખર કસૌલીની ઉપર ઝળુંબે છે. તો પર્વતોની પછવાડેથી શિમલા ડોકિયું કરે છે. ઊંચાઈએ આવેલ કસૌલીની બરાબર નીચે પંજાબ અને હરિયાણાનાં વિશાળ મેદાનો આવેલાં છે. જ્યારે રાત પડે છે ત્યારે આ મેદાની વિસ્તારોની લબકઝબક થતી લાઈટો હીરાજડિત કારપેટ જેવી ભાસે છે અને દિવસ ઊગતાં જ દશ્યમાન થતું કુદરતી સૌંદર્ય રાત્રિનો પ્રભાવ ભૂલાવી દેવા સક્ષમ છે. બધાં હિલસ્ટેશનોની જેમ કસૌલીમાં પણ ‘મોલ’ આવેલ છે. તેના અપર અને લોઅર એમ બે ભાગ છે. તેના પર અકારણ પણ રખડવું આનંદ પમાડે છે.
કસૌલી જવા માટે શ્રેષ્ઠ રસ્તો કાલકા સુધી ટ્રેન દ્વારા પહોંચવાનો છે. જે કસૌલીથી 37 કિ.મી. દૂર છે. બસ દ્વારા કસૌલી-કાલકા, શિમલા, ચંદીગઢથી સંકળાયેલું છે. વિમાનમાં જવું હોય તો નજીકનું એરપોર્ટ ચંદીગઢ ખાતે આવેલું છે, જે 65 કિ.મી. દૂર છે. કાલકાથી શિમલા જતી ટ્રેનમાં બેસી કસૌલીથી 12 કિ.મી. દૂર આવેલ ધરમપુર સ્ટેશન ઊતરી ત્યાંથી સ્થાનિક બસમાં પણ કસૌલી જઈ શકાય છે. કસૌલીમાં રહેવા માટે ‘ધ અલાસિયા હોટલ’, ‘ધ મોરીસ હોટલ’ તથા હિમાચલ ટુરિઝમની હોટલ ‘રોસ કૉમન’માં સારી સગવડ છે.

બરોગ :
બરોગ જવા માટે કાલકાથી શિમલા જતી રમકડાગાડીમાં બેસવું રહ્યું. હા, રસ્તામાં બરોગ સ્ટેશન આવે છે. રમકડા ગાડીની રાહ ન જોવી હોય તો કાલકા-શિમલા વચ્ચે દર પંદર મિનિટે દોડતી બસમાં પણ જઈ શકાય છે. સમુદ્રની સપાટીથી 1680 મીટર ઉંચાઈએ આવેલ બરોગથી ચૂડ ચાંદની (જેનો અર્થ થાય છે ચાંદની બંગડી જેવું શિખર)નું હિમઆચ્છાદિત પર્વત શિખર એકદમ સાફ દેખાય છે. ચંદ્રની ચાંદની રેલાય ત્યારે ચૂડ ચાંદનીના બરફ પરથી હજારો ચૂડીઓ સરકતી હોય તેવું અદ્દભુત દશ્ય સર્જાય છે. કદાચ એટલે જ પર્વતને આવું અનેરું નામ લોકોએ આપ્યું હશે. કસૌલીની જેમ બરોગની આજુબાજુનો વિસ્તાર પણ ‘પાઈન’ અને ‘ઓક’ વૃક્ષના જંગલથી છવાયેલો છે. બરોગની નજીકનાં જોવાલાયક સ્થળોમાં સ્કોટિશ શૈલીમાં બંધાયેલા રેલવે સ્ટેશન, સોલન, ડોલાન્જી બોન મનેસ્ટ્રી, કરોલ ગુફા, ગૌરા, કિયારી ઘાટ તથા રાજગઢનો સમાવેશ થાય છે. બરોગમાં રહેવા માટે હિમાચલ ટુરિઝમની હોટલ પાઈનવુડ ઉપરાંત અન્ય મધ્યમ કક્ષાની રોકાણ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
ચૈલ :
હિમાચલ પ્રદેશની શિવાલીકની ટેકરીઓના પ્રદેશમાં આવેલ ચૈલ અછૂતાં અરણ્યોની મધ્યે ત્રણ ટેકરીઓ પર વસેલું છે. ચૈલના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો મૂળ તે કેઓન્થાલ રાજ્યનો ભાગ હતું. ત્યારબાદ ચૈલ પર ગોરખા યોદ્ધા અમરસિંઘનું આધિપત્ય સ્થપાયું અને છેવટે તે પટિયાલાના મહારાજાનું ગીષ્મ કાલીન પાટનગર અને હવાખાવાનું સ્થાન બન્યું. પટિયાલાના રાજ્યનું ગ્રીષ્મકાલીન પાટનગર થવા પાછળની કહાની એ છે કે વર્ષ 1891માં મહારાજા ભુપીન્દરસિંઘ સાથે બ્રિટીશ આર્મીના કમાન્ડર ઈન ચીફ લોર્ડ કીચનરને કોઈક કારણસર વાંકું પડ્યું તે લોર્ડ કીચનરે ભૂપિન્દરસિંઘને શિમલામાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદી દીધો. આથી અકળાયેલા ભૂપિન્દરસિંઘે શિમલાથી બહેતર ગ્રીષ્મ કાલીન પાટનગર બનાવવાનું નક્કી કરી શિમલાથી 45 કિ.મી. દૂર આવેલ બ્રિટીશરો તરફથી ભેટમાં મળેલ ચૈલ પર પસંદગી ઉતારી હતી.
72 એકર વિસ્તારમાં પથરાયેલ ચૈલ ખરેખર તો નજીક નજીકની ત્રણ ટેકરીઓ પર વસેલું છે. પટિયાલાના મહારાજાનો મહેલ બંધાયો છે તે રાજગઢ હિલ, બ્રિટિશ રેસિડેન્ટનું નિવાસસ્થાન સ્નોવ્યૂ હતું તે પાંડવહિલ અને 2226 મીટરની ઊંચાઈ ધરાવતું સિદ્ધ ટીબ્બા જ્યાં બાબા સિદ્ધનાથનું મંદિર આવેલું છે. ચૈલથી 3 કિ.મી. દૂર સમુદ્રની સપાટીથી 2444 મીટરની ઊંચાઈએ દુનિયાનું સૌથી ઊંચાઈએ આવેલ ક્રિકેટ મેદાન છે જે સન 1893માં બનાવડાવ્યું હતું. નજીકમાં આવેલ વન્ય પ્રાણી અભ્યારણ્યમાં હરણ અને આ વિસ્તારનાં પક્ષીઓને તેમના નૈસર્ગિક વાતાવરણમાં નિહાળી શકાય છે. આવા ચૈલમાં રહેવા માટે હિલચાલ ટુરિઝમની પેલેસ હોટલ, હોટલ દેવદાર તથા પાઈનવ્યૂ ટુરિસ્ટ લોજમાં સગવડ ઉપલબ્ધ છે.
કુફરી :
સમુદ્રની સપાટીથી 2510 મીટરની ઊંચાઈએ આવેલ કુફરી ચૈલથી 27 કિ.મી. અને શિમલાથી 16 કિ.મી. દૂર આવેલું છે. કુફરીની આસપાસનો વિસ્તાર ટ્રેકિંગ-હાઈકિંગ માટે આદર્શ છે. તમે ચાલતા ચાલતા નજીકના મ્હાસુ શિખર સુધી પહોંચી શકો છો અને અદ્દભુત પ્રાકૃતિક સૌંદર્ય માણી શકો છો. દેશમાં સૌ પ્રથમ સ્કીંઈગની રમત અહીં છેક સન 1954માં શરૂ થઈ હતી. આ માટે વિન્ટર સ્પોર્ટ્સ કલબની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાના બીજા જ વર્ષે આયોજિત સ્કીંઈગ કાર્નિવલની સ્પર્ધાનાં બધાં જ ઈનામો નોર્વેના તત્કાલીન રાજદૂત જીતી ગયા હતા ! જો કે વાતાવરણમાં ફેરફાર થવાથી કુફરીમાં હવે પહેલાં જેવી હિમવર્ષા થતી નથી એટલે સ્કીઈંગ કાર્નિવલનું આયોજન થતું નથી. આવો છેલ્લો કાર્નિવલ સન 1968માં યોજાયો હતો. જેમાં દસ હજાર વ્યક્તિઓએ ભાગ લીધો હોવાથી કુફરીના નિવાસીઓ હજુ તે કાર્નિવલને યાદ કરે છે. હિમવર્ષા ઘટી હોવા છતાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી સ્કીંઈગ થઈ શકે છે.
restaruntકુફરીની નજીક આવેલ હિમાલયન નેચર પાર્કમાં હિમાચલ પ્રદેશનાં પ્રાણી-પક્ષીઓને તેમના પ્રાકૃતિક વાતાવરણમાં નિહાળી શકાય છે, તેમાં પ્રવેશ ફી રૂ. 10 તથા કેમેરા ફી રૂ. 30 છે. દરરોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહેતા પાર્કમાં પોતાનું વાહન (ભાડાનું સ્તો) લઈને જવું હિતાવહ છે. કુફરીના ઈન્દિરા ટુરિસ્ટ પાર્કની મુલાકાત લઈ તમે સુંદર નઝારો માણવાની સાથે સાથે ઘોડેસવારી અને હિમાલયમાં જ જોવા મળતા યાક પ્રાણીની સાથે ફોટો પડાવી શકો છો. અહીં હિમાલય પ્રદેશ ટુરિઝમ સંચાલિત કાફે લલિતની મુલાકાત ચૂકવા જેવી નથી. કુફરીમાં પોટેટો રિસર્ચ સેન્ટર પણ આવેલું છે. તમને કદાચ ખબર નહીં હોય, હિમાચલ પ્રદેશમાં શ્રેષ્ઠ બટાકા પાકે છે અને ગુજરાતમાં શ્રેષ્ઠ બટાકા પકવતા ખેડા જિલ્લાના ચકલાસી વિસ્તારના ખેડૂતો બટાકાનું બિયારણ દર વર્ષે હિમાચલ પ્રદેશથી મંગાવે છે ! કુફરીમાં રહેવા માટે ધ હોટલ સ્નો શેલ્ટર તથા કુફરી હોલીડે રિસોર્ટ્સમાં સગવડ ઉપલબ્ધ છે. કુફરી જવા માટે શિમલાથી નારકન્ડા રામપુર જતી કોઈ પણ બસમાં બેસી જવાય અથવા શિમલાથી ટેક્સી પણ મળી રહે છે, જેનું ભાડું સામાન્યત: રૂ. 750 થાય છે.
માશોબરા :
શિમલાથી 11 કિ.મી. દૂર આવેલ આ નાનકડા ગામની આજુબાજુ પ્રકૃતિનો ખોળો ખૂંદવા જવા જેવું છે. માશોબરાની નજીકમાં ચાલતા જ જવાય તેવાં સુંદર સ્થળો આવેલાં છે. અહીંથી નજીક આવેલ સિપી ગામમાં લાકડાનું બનેલું શિવ મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે મે મહિનામાં મેળો ભરાય છે. માશોબરાથી 3 કિ.મી. દૂર આવેલ કિંગનાનોમાં રહેવા માટે મ્યુનિસિપલ રેસ્ટહાઉસમાં સુંદર સગવડ ઉપલબ્ધ છે. જેનું રિઝર્વેશન હિમાચલ પ્રદેશ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન મારફત થઈ શકે છે. તે સિવાય મોંઘા ભાવે અદ્યતન સુવિધાઓ ભોગવવી હોય તો ગેબલ્સ રિસોર્ટસ માં રહી શકાય.
નાલદેહરા :
માશોબરા થી 15 કિ.મી. ઉત્તરે સમુદ્રની સપાટીથી 2050 મીટરની ઊંચાઈએ વસેલું નાલદેહરા એટલું સુંદર છે કે બ્રિટીશ વાઈસરોય લોર્ડ કર્ઝને તેમની સૌથી નાની દીકરીનું નામ નાલદેહરા પાડ્યું હતું ! અહીં દેશનો સૌથી જૂનો અને સૌથી વધુ ઊંચાઈ પરનો ગોલ્ફ કોર્સ આવેલ છે. આ ગોલ્ફ કોર્સની મધ્યે માહુનાગ મંદિર ગોલ્ફ કોર્સની હરિયાળીમાં દ્વીપ જેવું લાગે છે. અહીં રહેવા માટે હોટલ ગોલ્ફ ગ્લેડમાં વ્યવસ્થા ઉપલબ્ધ છે.
તત્તાપાની :
સતલજ નદીના કિનારે આવેલ તત્તાપાનીમાં સલ્ફરયુક્ત ગરમ પાણીનું ઝરણું આવેલું છે. કુલુ મનાલીના વશિષ્ટ કે મણિકરણ જેવો વિકાસ અહીં થયો નથી, પરંતુ રોજિંદી દોડધામથી દૂર થવું હોય અને શરીરને પણ કુદરતી આરામ આપવો હોય તો તત્તાપાની જવા જેવું છે. અહીં નીરવ શાંતિમય વાતાવરણ અને નૈસર્ગિક ગરમ પાણી તમારા મન-તનને આરામ આપશે તે ચોક્કસ. ગરમ પાણીના ઝરણામાં ખુલ્લામાં નાહવા ન ઈચ્છનાર માટે કિનારે આવેલ ગેસ્ટ હાઉસોમાં પાઈપ મારફત તે જ પાણી ઉપલબ્ધ કરાવાય છે. અહીં રહેવા માટે હિમાચલ ટુરિઝમની ટુરિસ્ટ ઈન ઉપરાંત સ્પ્રિંગ વ્યૂ ગેસ્ટ હાઉસમાં સગવડ ઉપલબ્ધ છે. તત્તાપાની જવા માટે શિમલાથી દર કલાકે સુન્ની જતી બસમાં બેસી જવું. તેમાંની કેટલીક તત્તાપાની સુધી જાય છે. અન્યથા સુન્નીથી તત્તાપાની જતાં ચાલતાં અડધો કલાક થાય છે. શિમલાથી તત્તાપાની જઈ પરત આવવાનું ટેક્સી ભાડું રૂ. 1000 જેટલું થાય છે.
નારકન્ડા :
સમુદ્રની સપાટીથી 2708 મીટરની ઊંચાઈએ હિન્દુસ્તાન-તિબેટ રોડ (નેશનલ હાઈવે નંબર – 22) પર આવેલ નારકન્ડાથી હિમાચ્છાદિત પર્વત શૃંખલાનો બહેતરીન નઝારો જોવા મળે છે. પર્વતોની ગોદમાં ખોવાઈ જઈ રજાઓ ગાળવા માંગનાર પ્રવાસી માટે નારકન્ડાથી સારું બીજું સ્થળ નથી. નારકન્ડા એવા વિશિષ્ટ સ્થળે વસ્યું છે કે હિમાચ્છાદિત પર્વતોની સાથે સાથે હરિયાળાં ખેતરો અને ફળો આપતા બગીચા નિહાળવાનો લાભ પણ મળે છે. સન 1980માં અહીં સ્કીઈંગ થઈ શકે તેમ છે તેવું જણાયા પછી સ્કીઈંગ તથા અન્ય વિન્ટર સ્પોર્ટસનો વિકાસ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીનો સમય સ્કીઈંગ માટે શ્રેષ્ઠ ગણાય છે. હિમાચલ પ્રદેશ ટુરિઝમ સ્કીઈંગ શીખવા સહિતનું સાત દિવસનું પેકેજ ઑફર કરે છે. જેમાં રહેવા જમવા, સ્કીઈંગ માટેનાં સાધનો અને સ્કીઈંગના કોચિંગનો સમાવેશ થાય છે. તે સિવાય મનાલી ખાતે મુખ્યમથક ધરાવતા ડિરેક્ટોરેટ ઑફ માઉન્ટેનિયરિંગ એન્ડ એલાઈડ સ્પોર્ટસ દ્વારા 15 દિવસના બેઝિક કે ઈન્ટરમીડિયેટ કોર્સમાં જોડાઈને પણ સ્કીઈંગ શીખી શકાય છે.
સ્કીઈંગ ન કરવું હોય પણ કુદરતી સૌંદર્યને ભરપેટ માણવું હોય તો 8 કિ.મી. દૂર આવેલ હાતુ પીકની એક દિવસીય હાઈક કરવા જેવી છે. છેક પર્વત શિખર સુધી લઈ જતો રસ્તો સિડર અને સ્પ્રુસનાં વૃક્ષોથી ઘેરાયેલો છે. શિખરની ટોચે પહોંચ્યા પછી 330 મીટરની ઊંચાઈએ સમગ્ર હિમાલય પર્વતમાળાનાં હિમાચ્છાદિત શિખરો નિહાળી શકાય છે. સાથે સાથે ઊંડી ખીણમાં છવાયેલાં ગાઢ જંગલ, પહાડો પરનાં પગથિયાં જેવાં લાગતાં ખેતરો અને ફળોથી લદાલદ બગીચાઓ જોઈ દિલ ખુશ થઈ જાય છે. ટોચ પર સ્થાનિક હાતુ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. નારકન્ડાથી 18 કિ.મી. દૂર આવેલ કોટગઢ અને થાનેદાર હિમાચલ પ્રદેશના ફળોના બગીચાનો હૃદયસમો વિસ્તાર ગણાય છે. અહીંના અસંખ્ય બગીચાઓમાં ઊગતાં સ્વાદિષ્ટ સફરજન દેશભરમાં તો ઠીક પરદેશમાં પણ નિકાસ પામે છે. શિમલાથી 65 કિ.મીના અંતરે આવેલ નારકન્ડા પહોંચવા માટે બસની સગવડ ઉપલબ્ધ છે. તેમ ન કરવું હોય તો શિમલાથી નારકન્ડા જઈ પરત આવવાના ટેક્સીવાળા રૂ. 1000 લે છે. નારકન્ડામાં રહેવા માટે હોટલ સ્નો વ્યૂ, હોટલ મહામાયા તથા હિમાચલ ટુરિઝમની હોટલ હાતુમાં સારી સગવડ ઉપલબ્ધ છે. અહીં ભોજન માટે ઘણાં ઢાબાં આવેલાં છે જ્યાં સ્થાનિક વાનગીઓ માણવા જેવી હોય છે. તેમ ન કરવું હોય તો હોટલ હાતુમાં આવેલ રેસ્ટોરન્ટમાં સર્વ પ્રકારનું ભોજન-નાસ્તા ઉપલબ્ધ હોય છે.
રામપુર :
હિમાચલ પ્રદેશના પ્રવાસના અંતે સતલજ વેલીમાં જઈએ. સતલજ નદીના કિનારે વસેલું રામપુર એક જમાનામાં ભારતથી તિબેટ જતા વેપારી માર્ગ પરનું મહત્વનું કેન્દ્ર હતું. તે સમયે કિન્નોર સુધી વિસ્તરેલા બુશહેર રાજ્યનું રામપુર પાટનગર હતું. આજે પણ રામપુર મહત્વનું વેપારી મથક છે. દર વર્ષે નવેમ્બર માસમાં અહીં ભરાતા ‘લાવી’ મેળા અને માર્ચમાં આયોજિત ‘ફાગ’ મેળામાં હિમાચલ પ્રદેશની સ્થાનિક સંસ્કૃતિને નજીકથી નિહાળવા વિદેશી પ્રવાસીઓ ખેંચાઈ આવે છે. આ મેળાઓમાં લાહૌલ સ્પીતી અને કિન્નોર સુધીના દૂરદૂરના નિવાસીઓ એકઠા થાય છે અને સ્થાનિક વસ્તુઓ ઉપરાંત ઘોડાનો વેપાર એ આ મેળાની વિશેષતા છે. રામપુરમાં જોવાલાયક સ્થળોમાં સન 1925માં બંધાયેલ પદમ પેલેસ શીર્ષસ્થ સ્થાન ધરાવે છે. મહેલની અંદર જઈ શકાતું નથી. પરંતુ સુંદર બગીચાઓ અને તેની વચ્ચે આવેલ મંદિરમાં જઈ શકાય છે. તે ઉપરાંત રામપુરમાં રઘુનાથ મંદિર, અયોધ્યા મંદિર અને નરસિંહ મંદિર આવેલાં છે. સન 1926માં બંધાયેલા દુમગીર બુદ્ધનું મંદિર તેના વિશાળ પ્રાર્થનાચક્ર અને પૌરાણિક ધાર્મિક સાહિત્ય માટે જાણીતું છે.
રામપુરથી 12 કિ.મી. દૂર સતલજના કિનારે વસેલ દત્તનગરનું નામ ત્યાં આવેલ દત્તાત્રય મંદિર પરથી પડ્યું છે. રામપુરથી 18 કિ.મી. દૂર આવેલા નીરથમા અત્યંત પૌરાણિક સૂર્યમંદિર આવેલું છે, તો 17 કિ.મી.ના અંતરે આવેલ નીરમન્ડમાં ભગવાન પરશુરામનું સુંદર કાષ્ટકોતરણી ધરાવતું મંદિર જોવાલાયક છે. શિમલાથી 134 કિ.મી. દૂર આવેલ રામપુર નિયમિત બસ સેવાથી સંકળાયેલું છે. કુલુથી સીધા રામપુર જવું હોય તો જાલોરી ઘાટ થઈ જઈ શકાય છે. આ અંતર 190 કિ.મીનું છે. રામપુરમાં રહેવા માટે નરેન્દ્ર હોટલ, હોટલ ભગવતી તથા હિમાચલ ટુરિઝમની હોટલ બુશહેર રીજન્સીમાં સારી સગવડ ઉપલબ્ધ છે. રામપુરમાં હોટલ નરેન્દ્રની રેસ્ટોરન્ટ, હિમાચલ ટુરિઝમની કાફે ‘સતલજ’માં જમવાની સારી સગવડ છે. ઉપરાંત રોડ સાઈડ ઢાબામાં સ્થાનિક ખોરાક માણી શકાય છે.
સરહાન :
બુશહેર રાજ્યનું ગ્રીષ્મકાલીન પાટનગર સરહાન કુદરતી સૌંદર્યથી ભર્યુંભર્યું છે. એવું કહેવાય છે કે ભગવાને પૂરેપૂરી ઉદારતાથી અહીં કુદરતી સૌંદર્ય વેર્યું છે. પર્વત શિખર તરફ દોરી જતા રસ્તાની અધવચ્ચે વસેલ સરહાન સુધી પહોંચતો રસ્તો પહેલાં ‘પાઈન’, પછી ‘ઓક’ અને પછી ‘રહોડોડેન્ડ્રમ્સ’નાં વૃક્ષોથી છવાયેલો છે. સરહાનની આજુબાજુ હરિયાળાં ખેતરો અને ફળાઉ વૃક્ષો ધરાવતા બગીચા આવેલા છે. ગામથી આગળ વધીને શિખર તરફ ગતિ કરતાં દેવદાર વૃક્ષો રસ્તાનો કબજો લઈ લે છે. બશલ શિખરની આજુબાજુ બીર્કનાં વૃક્ષો અને જંગલી પુષ્પોની વિવિધ જાતના છોડ જોવા મળે છે. શિખરની ઊંચાઈએ જોતાં છેક ઊંડી ખીણમાંથી સતલજ નદી વહેતી દેખાય છે. તે સામે હિમાચ્છાદિત શ્રીખંડ શિખર (5227 મીટર) ઊભું છે. બોલો છે ને પિક્ચર પોસ્ટકાર્ડમાં સમાવાય એવાં દશ્યૉ ! આટલું નૈસર્ગિક સૌંદર્ય હોય અને તેને કાયમ માટે સ્મૃતિબદ્ધ કરવા કેમેરા ન હોય તે ચાલે ? કુદરતી સૌંદર્યને ખરા અર્થમાં માણવા માટે સરહાનથી આજુબાજુ હાઈકિંગ-ટ્રેકિંગ માટેના અસંખ્ય રૂટ ઉપલબ્ધ છે. જ્યાં કુદરતને અત્યંત નજીકથી સંપૂર્ણ સમય આપીને માણી શકાય છે. સરહાન આપણે અગાઉ જઈ આવ્યા તે કિન્નોર પ્રદેશનું પ્રવેશદ્વાર ગણાય છે.
સરહાનનાં જોવાલાયક સ્થળોમાં ભીમ કાલી મંદિરનું પ્રમુખસ્થાન છે. આ ઐતિહાસિક મંદિર હિંદુ અને બૌદ્ધ સ્થાપત્યશૈલીનું મિશ્રણ ધરાવતી બહુમાળી ઈમારતમાં આવેલું છે. મંદિરનો ઊંચો ભાગ અને વિશિષ્ટ છાપરું તેને આગવું સ્વરૂપ આપે છે. મંદિરના ચોકમાં લઈ જતાં દ્વાર ચાંદીનાં બનેલાં છે, જેના પર કોતરણીકામ કરેલું છે. બીજા માળે ભીમ કાલી (મા દુર્ગાનું સ્થાનિક સ્વરૂપ), પાર્વતી, બુદ્ધ અને અન્નપૂર્ણાની મૂર્તિઓ છે જેના પર બારીક કોતરણી ધરાવતી ચાંદીની છત્રી આવેલી છે. પહેલા માળે માતા પાર્વતીની પૂજા થાય છે. ભીમકાલી મંદિરના ચોકના છેવાડે દીવાઓ અને શસ્ત્રોનું પ્રદર્શન જોવા જેવું છે. બાજુમાં આવેલ લંકા વીર મંદિરમાં ઓગણીસમી સદી સુધી ભીમકાલીને રીઝવવા નરબલિ ચઢાવવામાં આવતા હતા. મંદિર સંકુલમાં નરસિંહ અને રઘુનાથ મંદિર પણ આવેલાં છે.
આ ઉપરાંત સરહાનમાં બર્ડ પાર્ક જોવાલાયક છે. સરહાનથી 50 કિ.મી. દૂર આવેલ ભાભા નદીની વેલી જોવાલાયક છે. અહીં સુંદર તળાવ તથા આલ્પાઈન ઘાસનાં મેદાનો આવેલાં છે. સ્પિતીમાં આવેલ પીન વેલીનો ટ્રેકરૂટ અહીંથી શરૂ થાય છે. સરહાન શિમલાથી 198 કિ.મી. દૂર આવેલું છે. શિમલાથી સરહાન જવા માટે નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. નારકન્ડા અને રામપુરથી પણ સરહાન જવા બસ મળી રહે છે. રામપુરથી સરહાન ટેક્સીમાં જવું હોય તો રૂ. 1000 થાય છે. સરહાનમાં રહેવા માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા ભીમકાલી મંદિરના ગેસ્ટ હાઉસમાં છે, જ્યાં સ્વચ્છ-શાંત રૂમ ઉપલબ્ધ છે. તે સિવાય સ્નોવ્યૂ હોટલ તથા હિમાચલ ટુરિઝમની હોટલ શ્રીખંડ પણ સુંદર છે. સરહાનમાં જમવાની વ્યવસ્થા સ્નો વ્યૂ હોટલની અજય રેસ્ટોરન્ટમાં અને રોડસાઈડ ઢાબામાં ઉપલબ્ધ છે.
આમ, શિમલાની આસપાસના વિવિધ પ્રદેશો જોવા અને માણવાલાયક છે. બધા પ્રદેશો શિમલા જેટલા જ આકર્ષક, શાંત અને કુદરતના સાન્નિધ્યનો દિવ્ય આનંદ આપનારા છે.

No comments:

Post a Comment