Monday 31 October 2011

વાંસળીનાં સૂર

જેવા કાનજી એ પહેલવહેલા રેલાવ્યા વાંસળીનાં સૂર,
ને ચઢી આવ્યા કોમેન્ટ તણા એની પ્રોફાઈલ પર પૂર.
કાનજી એ પહેલવહેલા રેલાવ્યા વાંસળીનાં સૂર.

આજકાલ રીક્વેસ્ટ ને કરતા ફરો છે તમે ફોલો,
... કાનજીને એક દિ આવી’તી સોળ હજાર રીક્વેસ્ટ બોલો.
તોયે એને પઈનું ગુમાન નહી ને ફરતો થઈને ફિતૂર,
કાનજી એ પહેલવહેલા રેલાવ્યા વાંસળીનાં સૂર.

દોસ્ત સુદામાનું જણાવ્યા વિના સ્ટેટસ લે વાંચ્યું,
કે ખિસ્સામાં ભાઈબંધનાં રહ્યું નથી એકેય પાંચિયું.
વિના બોલે,વિના કાઈ દીધે,કર્યો દુઃખનો વાઈરસ દૂર,
કાનજી એ પહેલવહેલા રેલાવ્યા વાંસળીનાં સૂર.

ખાનગીમાં કાનજીએ રાધાને રાસની રીક્વેસ્ટ કીધી,
આ આધુનિક નરસિંહે આખી ફેસબુકમાં શેર કરી દીધી.
કંસને બ્લોક કરી દો પણ મીરાને કેમ બ્લોક કરશો હુજુર?
કાનજી એ પહેલવહેલા રેલાવ્યા વાંસળીનાં સૂર.

No comments:

Post a Comment